6 વર્ષ સુધી રાહ જોયા બાદ લોકોને અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કેનેક્ટિવીટી મળવા જઈ રહી છે. 1 નવમ્બરથી રેગ્યુલર ટ્રેનો આ નવા બ્રોડગેજ ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. ઉદયપુર ગેજ કન્વર્ઝન પૂર્ણ થયા બાદ હવે આ ટ્રેક પર ટ્રેન દોડાવવાની રાહ જોવાના કલાકો હવે પૂર્ણ થયા છે. મહત્વની વાત એ છે કે, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ટ્રેનને લીલી ઝંડી બતાવશે સાથે જ આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં હાજર રહેશે. એ ટ્રેકના ઉદ્ઘાટન પછી ત્યાં ત્રણ લોંગ રુટની ટ્રેનો દોડશે. આ રેલ લાઇન પર ટ્રેન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.
બ્રોડગેજ રૂટ શરૂ થતા લોકો ફક્ત 5 કલાકમાં અમદાવાદથી ઉદયપુર પહોંચી જશે. આપને જણાવી દઈએ કે, મીટરગેજ રૂટ પર અમદાવાદથી ઉદયપુર પહોંચવામાં લોકોને 10 કલાક લાગતા હતા. હાલ આ નવી રેલ્વે લાઇન પર ત્રણ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમાંથી ટ્રેન નંબર 20963 સવારે 5.30 વાગ્યે ઉદયપુરથી નીકળીને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે અને એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 20964 તરીકે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે.