બગદાણા તાબેના ધરાઈ ગામમાં આવેલ બંધ મકાનના તાળાં તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં રાખેલ સોનાનો ચેઇન અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તસ્કરોએ બાજુમાં આવેલ મકાનમાં પણ હાથફેરો કર્યો હતો,જાે કે તસ્કરોને હાથ કશું લાગ્યું ન હતું.
ચોરીની આ ઘટના અંગે મળતી વિગતો મુજબ બગદાણા તાબેના ધરાઈ ગામના વતની અને સુરતમાં હીરાનું કામ કરતા ગૌતમભાઈ હિંમતભાઈ કાતરીયા અને પરિવારના સભ્યો ધરાઈ આવ્યા હતા અને તેમના ફુઈ રેખાબેન વલ્લભભાઈના ઘરે જમવા માટે વેળાવદર ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ઓસરીમાં આવેલા ત્રણ ઓરડાના નકુચા તોડી કબાટની અંદર રાખેલી બેગમાંથી સોનાનો ચેઇન અને રોકડ રકમ મળી કુલ રૂ.૧,૨૭,૯૬૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તસ્કરોએ બાજુમાં આવેલ ગૌતમભાઈના પિતરાઈ ભાઈ પાર્થ ભાઈના મકાનમાં પણ હાથફેરો કર્યો હતો,જાે કે તેમના મકાનમાં તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું. ચોરીની આ ઘટના અંગે ગૌતમભાઈએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે તપાસ હાથ ધરી છે.