સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન ખાતે રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેના ભાણેજે પચાવી પાડ્યું હતું. સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન પહોંચતા જ સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી અને પારિવારિક સમાધાન કરાવી વૃદ્ધને પોતાનું મકાન પરત અપાવ્યું હતું.
રસિકલાલ પટેલ નામના વૃદ્ધ પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલ પટેલનું મકાન સુરતના ઉધના વિસ્તારમાં હતું અને તેમને પોતાનું મકાન 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યું હતું. રસિકલાલ પટેલ ભાણેજ પાસેથી મકાન ભાડું કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા માટે આપ્યું હતું. 16 સપ્ટેમ્બરના રોજ રસિકલાલ પટેલ સુરતમાં આવ્યા હતા અને તેમને પહેલા પોતાના ભાણેજને મકાન ખાલી કરવા બાબતે સૂચન કર્યું હતું. રસિકલાલ પટેલના ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મકાન ખાલી કરાવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે. તેથી પોતાનું મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને તે જ સમયે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા.
પોલીસ સ્ટેશનમાં PSOની કામગીરી કેવી હોવી જોઈએ તે બાબતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા. તે જ સમયે આ વૃદ્ધ રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન આવ્યા હતા અને વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ પોલીસ કમિશનર રસિકલાલ પટેલને મળ્યા હતા. ત્યારબાદ તેમની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો અને પોલીસ દ્વારા રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશન બોલાવીને આ સમગ્ર મામલે પારિવારિક સમાધાન કરાવી રસિકલાલ પટેલને તેમનું ઘર પરત અપાવ્યું હતું.