ભારતીયોને મોંઘવારીમાંથી રાહત મળતી નથી અને અર્થતંત્ર વિષે અનેકવિધ ચિંતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે રિઝર્વ બેન્ક આવતીકાલે ખાસ બેઠક યોજવાની છે તે પૂર્વે જ ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં વધારો જાહેર કરી દીધો છે.
વ્યાજ દર વધારીને મોંઘવારીને કાબૂમાં લેવાના અત્યાર સુધીના પ્રયત્નો સફળ થયા નથી અને આ માટે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસે રિપોર્ટ પણ માંગ્યો છે તેવા સમયે આરબીઆઈએ આવતીકાલે મોનીટરી પોલીસી કમિટીની ખાસ બેઠક યોજી છે. આ બેઠકમાં વ્યાજ દર વધારો ઝીંકાશે કે કેમ તે વિષેની અટકળો વચ્ચે ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં 0.15થી માંડીને 0.35 ટકાનો વધારો જાહેર કરી દીધો છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડીયા તથા ઇન્ડીયન બેન્ક દ્વારા એમસીએલઆરમાં વૃધ્ધિ જાહેર કરવામાં આવી છે અને ગઇકાલથી જ તે લાગુ પાડી દેવામાં આવ્યો છે. એમસીએલઆરથી નીચા વ્યાજે બેન્કો ધીરાણ આપી શકતી નથી. 2016માં રિઝર્વ બેન્કે જ આ શરુ કર્યું હતું. ચાલુ વર્ષના મે મહિનાથી રિઝર્વ બેન્કે રેપો દરમાં ચાર વખત વધારો કર્યો છે. કુલ 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તમામ બેન્કોએ ધીરાણ વ્યાજ દર વધારી દીધા છે. એપ્રિલ સુધી 6.60 ટકાના દરે મળતા ધીરાણ હાલ 8 ટકા કે તેથી વધુના વ્યાજે મળી રહ્યા છે.
રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં રીટેઇલ લોનમાં મોટો વધારો થયો છે. બેન્કોના કુલ ધીરાણમાં રીટેઇલ લોનનો હિસ્સો 29 ટકા રહ્યો હતો જે એક વર્ષ અગાઉ માત્ર 1.2 ટકા હતો. રીટેઇલ લોનમાં મોટાભાગે હાઉસીંગ અને વાહન લોન આવતી હોય છે. સેવા ક્ષેત્રને અપાતા ધીરાણમાં પણ સપ્ટેમ્બર મહિનામાં 20 ટકાની વૃધ્ધિ થઇ છે. એક વર્ષ પૂર્વે માત્ર 1.2 ટકાની જ વૃધ્ધિ થઇ હતી.
રિઝર્વ બેન્કની કાલની બેઠક પૂર્વે ચાર બેન્કોએ ધીરાણ મોંઘુ કર્યું છે તેમાં આઈસીઆઈસીઆઈ બેન્કે એમસીએલઆરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. એક વર્ષનું એમસીએલઆર 8.10 ટકાથી વધારીને 8.30 ટકા કરાયું છે. પંજાબ નેશનલ બેન્કે તેમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. એક વર્ષનો દર 7.75 ટકાથી વધારીને 8.05 ટકા તથા ત્રણ વર્ષનો દર 8.05 ટકાથી વધારીને 8.35 ટકા કરાયો છે.