ગુજરાત જ નહિ બલકે વિશ્વભરમાં વસતા પાંચ કરોડ વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય પરિવાર માટે અમૂલ્યવાન અને અવિસ્મરણીય બની રહેનાર શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રોજેકટનો ખાતમુર્હૂત સમારોહ રવિવારે ગોંડલ તાલુકાના ચોરડી ખાતે યોજાયો હતો. આ અવસરે ભાવનગર અને બોટાદ શહેર અને જિલ્લાભરમાંથી કુલ મળીને ૨૦૦૦ થી વધુ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના તત્વાધાનમાં ગોંડલના ચોરડી ખાતે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયના સર્વપ્રથમ વૈશ્વિક પ્રોજેકટમાં ૧૧ પ્રકલ્પો સાથે સાક્ષાત વ્રજભૂમિ સાકાર થશે. યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની નિશ્રામાં રવિવારે યોજાયેલ ખાતમુર્હૂતવિધિ તેમજ વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર તેમજ સિહોર, પાલિતાણા સહિતના તાલુકા મથકોમાંથી ઉપરાંત બોટાદ જિલ્લાભરમાંથી અંદાજે બે હજારથી વધુ આબાલવૃધ્ધ વૈષ્ણવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી વિવિધ પુષ્ટિમાર્ગીય હવેલીઓના મળી ભાવનગર વૈષ્ણવ સમાજના વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા કુલ ૨૦૦૦ થી વધુ ભાવીકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના પરિમલ ખાતેથી રવિવારે સવારે કુલ ૧૧, પાલિતાણાથી ૩, સિહોરથી ૧ તથા બોટાદથી ૨ બસ ભરી ભાવિકો ચોરડી ખાતે જવા રવાના થયા હતા.જેઓ મોડી સાંજે ચોરડીથી પરત આવ્યા હતા. શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડની ખાતમુર્હૂતવિધિ માટે અષ્ટાક્ષર મંત્રજાપની પુસ્તિકા ૪૦ દિવસમાં એક લાખ વૈષ્ણવોને મોકલાઈ હતી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લા માટે ૧૦ હજાર મંત્ર બુક ફાળવાઈ હતી. શ્રીકૃષ્ણ શરણમમના ૧૧૦૦ મંત્ર લખેલી આ પુસ્તિકાઓ પરત આવતા ભાવનગર અને બોટાદ શહેર તથા જિલ્લાની કુલ મળીને ૩૫ લાખ અષ્ટાક્ષર મંત્ર લખેલી પુસ્તિકાઓ મળી કુલ ૧૧ કરોડ અષ્ટાક્ષર મંત્રની પુસ્તિકા પુજાઅર્ચન વિધિ સાથે ખાતમુર્હૂતમાં વિધિવત પધરાવાઈ હતી