ભાવનગર જિલ્લાની મહુવા તથા ગઢડા અને બોટાદ વિધાનસભાની બેઠકો ઉપર ભાજપે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ મોટા પ્રમાણમાં નારાજગી વ્યક્ત કરી ત્રણેય બેઠક પર ઉમેદવાર બદલવાની માંગણી સાથે વધુ કાર્યકરો રાજીનામા ધરી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે જેમાં મહુવા બેઠકમાં આર સી.મકવાણા, ગઢડામાં આત્મરામ પરમાર અને બોટાદના સુરેશ ગોધાણીની માંગ થઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
આ ટિકિટ ફાળવણી દરમિયાન બોટાદ બેઠક ઉપર વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તથા ગઢડા બેઠક માટે તદ્દન અજાણ્યા ઉમેદવાર શંભુનાથ ટુંડિયા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઢડા શહેર તાલુકા અને બોટાદ શહેર જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી ટિકિટ ફાળવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ વનાળિયાને લેખિતમાં એક પત્ર પાઠવી પાંચસો જેટલા નારાજ કાર્યકરોની સહી કરી રાજીનામા ધરી દીધા હતા.
બોટાદ અને ગઢડા બેઠક ઉપર ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ કાર્યકરોએ નહીં સૂચવેલા અને દાવેદારી નહીં નોંધાવેલા લોકોને ઉમેદવાર તરીકે જાહેર કરી કાર્યકરોની લાગણીને મજાક બનાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. બોટાદ બેઠક ઉપર સિનિયોરીટી મુજબ લાયકાત ધરાવતા જિલ્લા ભાજપના આગેવાન સુરેશભાઈ ગોધાણીને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવા અને ગઢડા બેઠક ઉપર આત્મારામ પરમારને જાહેર કરવા બંને બેઠક ઉપર નામ ફેરફાર કરવા હલ્લાબોલ કર્યો હતો. બીજી તરફ જાહેર થયેલા ઉમેદવારોના ટેકેદારોએ પણ બપોર પછી શક્તિપ્રદર્શન કરી જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપમાં મોટા પ્રમાણમાં નારાજગીનું વાતાવરણ ઉભુ થતા પ્રતિસ્પર્ધીઓ કરતા ભાજપને પોતાનાથી આંતરિક નુકશાન વધારે થાય અને કાયમ ભાજપ માટે અકબંધ રહેલી બેઠકો જોખમી પૂરવાર થાય તેવું વાતાવરણ ઉભું થયું છે.