ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત આપતા એક પગલાંમાં સરકારે તેમના ભારત આગમન પર ભરવા પડતા ફોર્મને રદ કરી નાખ્યું છે. હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. દેશમાં હવે કોરોના કેસ ઘટતા સરકારે મહામારીના સમયમાં લાગુ પાડેલો એક નિયમ હટાવી દીધો છે.
અત્યાર સુધી તો વિદેશથી આવનાર મુસાફરોએ ભારત આગમન પર એરપોર્ટ પર એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. તમામ પ્રવાસીઓ માટે આ ફોર્મ ભરવું ફરજિયાત હતું પરંતુ હવે સરકારે આ ફોર્મ ભરવામાંથી મુસાફરોને છૂટ આપી છે. સરકારે આ ફોર્મને રદ કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો આજે મધરાતથી અમલમાં આવશે. કોરોના મહામારી દરમિયાન હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેથી વાયરસના સંક્રમણને અટકાવી શકાય.
હવાઈ મુસાફરો માટે રસીકરણના પ્રમાણપત્રો અને કોવિડ પરીક્ષણના અહેવાલો આપવાનું ફરજિયાત હતું. આ માટે એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમાંથી રાહત મળી છે.