વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગરના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો નવો ઇતિહાસ બનવા જઇ રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન અને ગૃહમંત્રી બે દિવસના અંતે ભાવનગર જિલ્લામાં ત્રણ ચૂંટણી સભા કરશે. વડાપ્રધાને વિધાનસભાની ચૂંટણીમાં એકથી વધુ વખત પ્રચાર માટે આવવું પડ્યું હોય તેવી કદાચિત આ પ્રથમ ઘટના છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં તો કોઇ વડાપ્રધાન લગભગ ચૂંટણી પ્રચાર માટે આવ્યા જ નથી. ભાજપના શાસનમાંથી વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં આવ્યા હોય તે પ્રથા શરૂ થઇ છે તેમાં પણ અગાઉની ચૂંટણીઓમાં એકસાથે બે કે ત્રણ જિલ્લાની ભેગી એક સભા વડાપ્રધાન કરતા. આ વખતે ભાજપે કાર્પેટ બોમ્બીંગ પ્રધ્ધતિ અપનાવી છે તેના ભાગરૂપે કેન્દ્રીય અને પ્રાદેશિક નેતાઓ ઉપરાંત અન્ય રાજ્યના નેતાઓને પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ઉતારી દેવાયા છે.
ભાવનગર જિલ્લામાં ચૂંટણીના અંતિમ દિવસોમાં શાસક ભાજપે કાર્પેટ બોમ્બીંગ પધ્ધતિ અપનાવી છે અને બે દિવસમાં ભાજપના ટોચના ત્રણ નેતાઓ ચાર બેઠકો પર સભા ગજવશે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તળાજા તથા મહુવા ખાતે શનિવારે ચૂંટણી સભા કરવા આવી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગારિયાધારમાં આ જ દિવસે સભા ગજવશે. તો પછીના એક દિવસ રહીને સોમવાર તા.૨૮ના રોજ વડાપ્રધાન મોદી પાલિતાણા ખાતે જાહેર સભા કરશે. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પૂર્વે જ ભાવનગરમાં નરેન્દ્રભાઇ ચૂંટણી સભા કરીને ગયા છે.