વાત એક એવી સામાજિક સંસ્થાની છે કે જેનો જન્મ શહેરના એક વોર્ડના પ્રશ્નોની ચિંતા અને તેના ઉકેલ માટે થયો અને આજે તે માત્ર ગુજરાત જ નહીં ભારતભરના વિકલાંગોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત છે. સામાજિક પ્રવૃત્તિની વાત હોય તો કોઈ સમાજસેવક આ માટે ભેખ ધારણ કરે તે જરૂરી હોય છે, આ સંસ્થા માટે તેના સ્થાપકે પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામુ આપીને આ ધુણો ધખાવ્યો છે. આવી વિશિષ્ટ અને ગૌરવન્વિત સંસ્થા એટલે ભાવનગરની પીએનઆર સોસાયટી.
ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ સંસ્થાને અને તેના સ્થાપકને યાદ કરવાનો વિશેષ અવસર છે. સરકાર દ્વારા 21 પ્રકારની ખામીઓને વિકલાંગતા હેઠળ આવરી લેવામાં આવી છે, જેમાં શારીરિક અને માનસિક બંને પ્રકારની ક્ષતિનો સમાવેશ થાય છે. આ 21માંથી 10થી વધુ વિકલાંગતાની સારવાર, નિદાન, જાગૃતિ સહિતના કાર્યો આ પીએનઆર સોસાયટીના છત્ર હેઠળની સંસ્થાઓમાં થઈ રહ્યા છે અને ભારત સરકારની રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે આરસીઆઇએ આ સંસ્થાને દરેક પ્રકારની વિકલાંગતા માટે ભારતમાં કામ કરતી સૌથી મોટી સંસ્થા તરીકે બિરદાવી છે.
67 વર્ષ પહેલાં દરબારગઢ નવજવાન સંઘ નામે ભાવનગર નગરપાલિકાના આ વોર્ડના યુવાનોએ સંસ્થા ઊભી કરી હતી. આ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે સંસ્થા, શરૂ થયેલી આ આ સંસ્થા હાલ ભાવનગર નવજવાન સંઘ ત રીકે કાર્યરત છે અને તેમાંથી લોઢાવાળા હોસ્પિટલથી શરૂ કરી, પીએનઆર સોસાયટી અને તેના છત્ર નીચે છે સંસ્થા ક્રમશઃ શરૂ થઈ, વિકસી અને હાલ કાર્યરત છે.
1954માં આ સંગઠનની શરૂઆત થઈ. બાબાભાઈ શાહ, અંતુભાઈ રાવળ, અનંત એ. શાહ, હર્ષદ શેઠ, ભાસ્કર વકીલ અને બીજા કેટલાક મિત્રોએ આ સંસ્થા શરૂ કરી અને તેમની સામાજિક નિસ્બતથી લોઢાવાળા હોસ્પિટલ અને એક પછી એક સંસ્થા શરૂ થઈ.
પીએનઆર સોસાયટી અને તેના ક્ષેત્ર નીચેની છ એવી સંસ્થા કે જે દર્દીનારાયણ અને ખાસ કરીને વિકલાંગોનું કાર્ય કરે છે તેની પાછળ પાયાના પથ્થર હોય તો તે છે બાબાભાઈ શાહ. 87 વર્ષની ઉંમરે પણ આ સંસ્થાઓને તે સ્થાપક ટ્રસ્ટી તરીકે સંભાળી રહ્યા છે.
તેઓ કહે છે, ‘હું તો માત્ર નિમિત છું. આ કાર્ય શરૂ કર્યું ત્યારે કલ્પના પણ ન હતી કે લોકોના આટલા બધા આશીર્વાદ મળશે. સાથી ટ્રસ્ટીઓ, દાતાઓ અને સહુ કોઈનો જે સહયોગ મળ્યો, તેના કારણે વિકલાંગો અને દર્દીઓની કંઈક સેવા કરી શક્યા, તે ઈશ્વર કૃપા છે.’
પ્રમુખ શશીભાઈ વાધર તથા સમગ્ર ટ્રસ્ટીગણની જહેમત તથા દાતાઓના સહયોગથી પીએનઆર સોસાયટીની વિવિધ સેવાઓનો વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લોકો લાભ લઇ રહ્યા છે. આ લાભાર્થીઓમાં શારીરિક અપંગતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, લર્નિંગ ડિસઓર્ડર, મલ્ટિપલ ડિસેબિલિટી, મંદબુદ્ધિ સહિતની માનસિક વિકલાંગતા ધરાવતા બાળકોનું કામ સમગ્ર ગુજરાતમાં નેત્રદીપક રીતે અહીં થઈ રહ્યું છે. સંસ્થાના મહામંત્રી પારસભાઈ શાહ કહે છે કે, ‘અમારી આ સંસ્થાઓમાં ૬૦૦થી વધુ કાર્યકરો-પ્રોફેશનલસ તથા કર્મચારીઓ સેવારત છે. આ બધા જ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પીએનઆર સોસાયટીની વિવિધ સેવાનો લાભ લોકોને મળી રહ્યો છે. દર્દીઓની સેવા વિકલાંગોને સહાયભૂત થવા ઉપરાંત વિકલાંગતા ન આવે તે માટેના વિશેષ પ્રિવેન્શન પ્રોગ્રામ પણ સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે’, તેમ પણ તેમણે ઉમેર્યું.
સંસ્થા શરૂ કરવી સહેલી હોય છે પરંતુ તેને ટકાવી રાખવી અને તેનો યોગ્ય હેતુસહ વિકાસ કરવો તે ખૂબ મોટી વાત છે. સ્થાપક ટ્રસ્ટી શ્રી બાબાભાઈ શાહ અને તેમની સાથે જોડાયેલા સૌ કોઈની મહેનત અને ધખનાથી પીએનઆર સોસાયટી આજે ગુજરાતની જ નહીં દેશની વિકલાંગો માટેની વિશિષ્ટ સંસ્થાઓ પૈકીની એક બનીને ઉભી છે. વિખ્યાત ધ વીક મેગેઝીને બાબાભાઈને ભાવનગરના ગાંધી કહ્યા, તો ભારત સરકારે તેમને રાજીવ ગાંધી નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. જો કે તેઓ વિનમ્રતાથી એટલું જ કહે છે કે, ‘વિકલાંગો માટે જે પણ કરી શક્યો અને કરી રહ્યો છું તે જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે.’