ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
નવી સરકારનું મંત્રમંડળ 22થી 23 સભ્યનું હોવાની સંભાવના છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 12થી વધુ MLAને સ્થાન મળી શકે છે. આ માટે જીતુ વાઘાણી, કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, ડો દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, દેવા માલમ, સંજય કોરડીયા, ભગવાનજી કરગઠીયા, રાઘવજી પટેલ, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, હીરાભાઈ સોલંકી, કાંતિ અમૃતીયા, પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, ભગવાનભાઈ બારડ, ડો પ્રદ્યુમન વાજા, મુળુભાઈ બેરા, ત્રિકમભાઈ છાંગા અને વીરેન્દ્રસિંહ જાડેજા નામની ચર્ચા ચાલી રહી છે.