ભાવનગરમાં ભળેલા નારી ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર તો નિર્માણ પામ્યું પરંતુ લોકોને આરોગ્ય સુવિધા પ્રાપ્ય નહીં બનતા આ મામલે કચવાટ ફેલાતા આજે મેયર કિર્તીબેન દાણીધારીયાએ તેમના જ વોર્ડના આ સામુહિક આરોગ્ય કેન્દ્રની કમિશનર અને આરોગ્ય અધિકારીને સાથે રાખીને મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ તેમણે તાકીદના ધોરણે ૧૫ બેડની વ્યવસ્થા કરવા સુચના આપી હતી. જ્યારે હાલ બે એમ.બી.બી.એસ. ડોક્ટર, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સનો સ્ટાફ છે. જેમાં વધુ ૧૦ સ્ટાફનો ઉમેરો કરવા નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવા પણ સુચના આપી હતી. આ ઉપરાંત એક્સ-રે માટેના ટેકનિશ્યનની ભરતી કરી બાદમાં બે એક્સ-રે મશીન પણ વસાવવા આજે નક્કી થયું હતું તેમ મેયર કિર્તીબેન દાણીધારીયાએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ને જણાવ્યું હતું.