શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ચાલી રહેલી ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન કરતા પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે ભૂખ લાગે એ પ્રકૃતિ, એકલા ખાવું એ વિકૃતિ પણ વહેંચીને ખાવું એ સંસ્કૃતિ છે. સનાતન ધર્માવલંબી હંમેશા માટે સર્વત્ર સુખીનઃ સંતુના વેદ મંત્રને અનુસરે છે.
કથામાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવતા પૂ. મોરારીબાપુએ જણાવેલ કે ઈસુના નવા વર્ષમાં મારી પ્રથમ કથા પહેલા ભાગવત સાંભળવાનું મારું વ્રત છે. આજ હું સદભાગી છું કે આવા વંદનીય સંતના મુખે ભાગવત સાંભળી મારુ વ્રત પૂર્ણ કર્યું છે.
મંગળવારે કથામાં ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવેલ.કથા દરમિયાન ગોપનાથ મહાદેવના મહંત જગ્યાના પૂ. આત્માનંદજી, ખારીગામથી પૂ.સીતારામ માતાજી, પૂ.ભગવતીમાં, પૂ.કનકેશ્વરી દેવી, ગોપાલ આશ્રમ દેવગણાના મહંત પૂ. કૃષ્ણદાસજી બાપુ નારી ગામથી પૂ.માધવદાસ બાપુ વિગેરે સંતો અને પૂર્વ શિક્ષણ મંત્રી- ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, જીલ્લા ભાજપા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ પટેલ, સ્ટે. ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ભાજપના જીલ્લા મંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અગ્રણીઓએ કથાનું રસપાન કર્યું હતું. શિવકુંજ આશ્રમ પરિવાર તરફથી પૂર્વ મેયર સુરેશભાઈ ધાંધલ્યાએ મહેમાનોને આવકાર્યા હતા.