વાઘ બકરી ટી ફાઉન્ડેશન (ભારત)ના વિશેષ સહયોગથી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૫૫ શાળાઓમાં જુલાઈ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન ૬૬૦૦ બાળકો માટેની સ્વાસ્થ્ય શિબિર યોજવામાં આવી. બાળકોમાં કુપોષણને લીધે આંખોની સમસ્યાઓ વિશેષ જાવા મળે છે. ત્યારે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૨૨માં ૫૫ શાળાઓમાં ૨૨૦૦ બાળકોની આંખ તપાસ કરી ગુજરાત રાજ્યની અંધત્વ નિવારણ યોજના અંતર્ગત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું.
લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ અને તેને લીધે ઊભા થતા શારીરિક પ્રશ્નો વિશેષતહ ધોરણ સાત અને આઠમા ભણતી બહેનોમાં આયરન ડેફિશન્સી તરીકે સવિશેષ જાવા મળે છે. જે ધ્યાનમાં લઇને શાળાઓમાં ભણતી વિધાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ દ્વારા ૨૨૦૦ વિદ્યાર્થીનીની તપાસ કરી ઓછું હિમોગ્લોબીન ધરાવતી વિદ્યાર્થીનીઓને ડોક્ટરની સલાહ અનુસાર વિનામૂલ્યે પંદર દિવસ માટે જરૂરી દવાઓ પણ આપવામાં આવી. તદુપરાંત નિષ્ણાત ડોક્ટર દ્વારા જરૂરિયાતમંદ ૨૨૦૦ બાળકોની જનરલ આરોગ્ય તપાસ કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું.