રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું નામ અમૃત ઉદ્યાન કરવામાં આવ્યા બાદ એકવાર ફરીથી હવે નામ બદલવાની માંગણીઓ થવા લાગી છે. વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવે ગુજરાતના અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી છે.
રિપોર્ટ મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આવું પહેલીવાર નથી બન્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી થઈ રહી છે. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. ત્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરરવા માટે મુહિમ ચલાવશે. આ નિર્ણય હાલમાં જ એબીવીપીની અમદાવાદમાં થયેલી બેઠકમાં લેવાયો હતો. જિલ્લા સ્તર પર થયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો હતો.
500 વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને સર્વસંમતિથી પાસ કરાયો. ત્યારબાદ નક્કી કરાયું કે આ પ્રસ્તાવને એબીવીપી હવે અમદાવાદના મેયર કલેક્ટરને સોંપશે. એબીવીપીના પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ કહ્યું કે પાંચસો વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. હવે આ પ્રસ્તાવને લઈને અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામકરણની માંગણી કરીશું. ગજરેએ કહ્યું કે રાષ્ટ્રીય એક્તા યાત્રા અમદાવાદ અને સુરત આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ થશે. તેમાં પણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય એબીવીપી લોકોને જાગૃત કરશે અને કર્ણાવતી નામ કરવા માટે સમર્થન માંગશે.
કર્ણદેવે વસાવ્યું શહેર
અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું. આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ.





