મુશ્કેલીની આ ઘડીમાં ભારત તુર્કીની મદદ માટે આગળ આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર ભારત તુર્કીને તાત્કાલિક મદદ મોકલી રહ્યું છે. ભારતે NDRF રેસ્ક્યૂ ટીમ, દવાઓ અને મેડિકલ ટીમ તાત્કાલિક તુર્કી મોકલવાની જાહેરાત કરી છે. ખરાબ સમયમાં ભારતની આ મદદ માટે તુર્કીએ દિલથી આભાર માન્યો છે.
ભારતના વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ભારતમાં તુર્કી દૂતાવાસ પહોંચ્યા અને મુશ્કેલીની આ ઘડીમાં સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હતું. તુર્કીના રાજદૂત ફિરાત સુનેલને મળીને મુરલીધરને ભૂકંપના કારણે થયેલા વિનાશ અંગે શોક વ્યક્ત કર્યો અને ભારત તરફથી મળેલી મદદ વિશે પણ જણાવ્યું હતું. આ મુલાકાત બાદ ફિરત સુનેલે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિંદી અને તુર્કી બંને ભાષાઓમાં દોસ્ત સામાન્ય બોલચાલનો શબ્દ છે. તેમણે વધુમાં કહ્યું કે તુર્કી ભાષામાં એક કહેવત છે. દોસ્ત કારા ગુંડે બેલી ઓલુર એટલે જે મુશ્કેલ સમયમાં કામમાં આવે તે સાચો મિત્ર છે. ભારતનો હૃદયપૂર્વક આભાર.
આ પહેલા PM મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘તુર્કીમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. મને આશા છે કે, ઘાયલોની તબિયત જલ્દી સુધરે. ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ તુર્કીમાં થયેલા વિનાશ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘તુર્કીમાં ભૂકંપમાં જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. તુર્કીના વિદેશ મંત્રીને જણાવવામાં આવ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં અમારી સહાનુભૂતિ અને સમર્થન તુર્કીની સાથે છે.
ભારતે મદદ માટે હાથ લંબાવ્યો
તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. આ ભયાનક કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 100 સભ્યોની NDRP ટીમને ભારતથી તુર્કી મોકલવામાં આવી રહી છે. જેમાં ડોગ સ્ક્વોડ, ડોકટરોની ટીમ અને મોટી માત્રામાં રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ પહેલ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ PMOમાં અધિકારી સ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.