તુર્કી અને સીરિયામાં સોમવારના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 15000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીમાં 9057 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, સીરિયામાં 2662 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં, 34000થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ ટીમો હજારો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધમાં દિવસ-રાત કામ કરી રહી છે. વિશ્વભરના દેશોની સર્ચ ટીમો પણ ઈમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે.
અહીં પહેલેથી જ પીડાતા લોકો પર શિયાળો વધુ પાયમાલ કરી રહ્યો છે. વરસાદ અને બરફ પરિસ્થિતિ ઉત્તરોતર વધુ વસમી બનાવી રહ્યા છે. દક્ષિણપૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી પ્રભાવિત મોટાભાગના લોકોએ મસ્જિદો, શાળાઓ અથવા અન્ય જાહેર સ્થળોએ આશ્રય લીધો છે. પરંતુ તે તમામની ભીડભાડ છે અને મોટી સંખ્યામાં લોકોને ખુલ્લા આકાશ નીચે રાત વીતાવવાની ફરજ પડી છે. એટલું જ નહીં તેમની સામે ભોજન અને અન્ય સમસ્યાઓ પણ ઉભી થઈ છે.
તુર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં હવે લગભગ 60,000 સહાયતા કાર્યકરો છે, પરંતુ વિનાશ એટલો વ્યાપક છે કે ઘણા લોકો હજુ પણ મદદ પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. ત્યાં અસરગ્રસ્તો મૃત્યુ અને જીવન વચ્ચે ઝૂલી રહ્યા છે. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને બુધવારે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે અમે અમારા કોઈપણ નાગરિકને રસ્તા પર છોડીશું નહીં. પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવશે. એર્દોઆને કહ્યું કે દેશના 8.5 કરોડ લોકોમાંથી 1.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
તુર્કીમાં 3,000 ભારતીય નાગરિકો છે
વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ દસ ભારતીયો તુર્કીના દૂરના વિસ્તારોમાં ફસાયેલા છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. અન્ય એક નાગરિક બે દિવસથી ગુમ છે. તે માલ્ટાની બિઝનેસ ટ્રીપ પર હતો. અમે બેંગલુરુમાં તેના પરિવાર અને કંપનીના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે તુર્કીમાં 3,000 ભારતીય નાગરિકો છે. તેમાંથી લગભગ 1,850 ઈસ્તાંબુલમાં અને 250 અંકારામાં રહે છે.