મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો મહાદેવની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો સોમનાથના ચરણોમાં રત્નાકર સમુદ્રના તટ ઉપર પાર્થિવ લિંગની પૂજા કરી શકે તેવો ઉત્તમ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરી હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શિવના પાર્થિવ લિંગની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેની શાસ્ત્રો સાબિતી આપે છે. શાસ્ત્રોકત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આપેલી પવિત્ર ભૂમિમાંથી ખનન કરીને મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ, પૂજા સામગ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને આપવામાં આવશે.
મહાશિવરાત્રી ના પર્વે સવારે 10થી 11 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. ત્યારે આ પૂજામાં સીમિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તેમ હોય વહેલા તે પહેલાના ધોરણે સોમનાથ મંદિર ખાતે પૂજા નોંધાવાની રહેશે .સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251₹ માં પાર્થેશ્વર પુજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા શિવત્વનો અનુભવ કરાવશે
યાત્રીઓની સેવામાં વધુ બે અત્યાધુનિક ઇલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ
પ્રથમ જ્યોતિલિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુ આવે છે. દિવ્યાંગ,અને અશક્ત શ્રદ્ધાળુઓ સિનિયર સિટીઝનને પરિસરના પ્રવેશદ્વાર થી સોમનાથ મંદિર સુધી લાવવા અને પરત લઈ જવા માટે ઇલેક્ટ્રોનિક ગોલ્ફ કાર્ટ સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ અત્યારસુધીમાં અનેક શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટની આ માનવતા સભર સુવિધાથી પ્રભાવિત થઈને સીટી યુનિયન બેંક દ્વારા બે અધ્યાધુનિક વિદ્યુત ઉર્જા સંચાલિત ગોલ્ફકાર્ટ સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી હતી. આ તકે, ગિર સોમનાથ કલેકટર દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 2 ગોલ્ફકાર્ટનું મંદિર પરિસરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.