ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં રહેતા મહિલા એને તેના ઘરના સભ્યોને ગાળો આપી,ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તેમના કુટુંબના ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં રહેતા જયાબેન હિંમતભાઈ રાઠોડ એમના પરિવાર સાથે સુરધનદાદાના દર્શન કરવા ગયા હતા અને સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના કુટુંબી ડાયાભાઈ મૂળજીભાઈ રાઠોડ, હસમુખભાઈ ડાયાભાઈ રાઠોડ, અજયભાઈ ડાયાભાઈ રાઠોડ અને હરેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડે તેના ઘરે આવી તમે સુરધનદાદાના દર્શન કરવા માટે શા માટે જાઓ છો ? અમારા ઘરે માતાજીનો મઢ છે તેમાં કેમ ભળતા નથી તેમ કહી હવે પછી સુરધનદાદાના દર્શને જવું હોય તો અમારી પરમિશન લેવી પડશે તેમ કહી ગાળો આપી ઘરના સભ્યો સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે જયાબેન રાઠોડ એ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.