ભાવનગર ગદ્યસભા સર્જકોની સિસૃક્ષા- સર્જન કરવાની ઇચ્છાને સંકોરવા દર ગુરુવારે સાંજે ૬ઃ૦૦ કલાકે ગુજરાતી ભાષા ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે મળે છે. મુ. ડૉ. ગંભીરસિંહજી ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ. ૧૯૯૨થી આજદિન સુધી સતત એકત્રીશ વર્ષથી ગદ્યસભા નિયમિતપણે યોજાઇ રહી છે.
સાહિત્યના ગદ્યસ્વરૂપની કાર્યશાળા સમાન ભાવનગર ગદ્યસભાના બત્રીસમા સ્થાપના દિવસની અનોખી ઉજવણી તાજેતરમાં ‘વાર્તાપર્વ’ નામે અનોખા કાર્યક્રમ થકી ઊજવાઇ ગઇ.
ઝવેરચંદ મેઘાણી મીની ઑડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાયેલ આ વિશિષ્ટ કાર્યક્રમ સૌના માટે ખુલ્લો હતો. જેમાં ભાવનગરની સાહિત્યપ્રિય જનતાએ બહોળી સંખ્યામાં હાજર રહીને ગદ્યસર્જકોની કૃતિઓને મન ભરીને માણેલ. વાર્તા તથા ગદ્યસ્વરૂપમાં લખાતાં સાહિત્યનું મહત્વ જળવાઈ રહે તેના માટે ભાવનગરની ગદ્યસભા દ્વારા ‘વાર્તાપર્વ’નું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રસ્તુત ‘વાર્તાપર્વ’ નિમિત્તે ગદ્યસભાના મંત્રી નટવર વ્યાસે ભૂમિકા બાંધીને ગદ્યસભાની પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી વાત કહી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ગદ્યસભામાં આવતા સર્જકો – નવોદિતોની સર્જન પ્રક્રિયા વિશે – લેખકોના પીંડ ઘડતર માટેની આવશ્યક બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
પ્રસ્તુત ‘વાર્તાપર્વ’માં ગદ્યસભાના લેખકોની કૃતિઓનું વાચિકમ્ અને મંચન રાખવામાં આવેલ. જેની પ્રસ્તુતિ પણ ગદ્યસભાના જ સર્જકોએ કરી હતી. સમગ્ર કાર્યક્રમ માટે ડૉ. મહેન્દ્રસિંહ પરમાર અને નટવર વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગદ્યસંયોજક અને મંત્રી અજય ઓઝા તથા પ્રવીણ સરવૈયાએ સફળતાપૂર્વક સંભાળેલ. આ ‘વાર્તાપર્વ’ને માણવા ભાવનગર કલાનગરીના લોકો ઉપરાંત વડોદરા, અમદાવાદ, અમરેલી, પાલિતાણાથી પણ ગદ્યપ્રેમીઓ આવેલ અને કાર્યક્રમને મન ભરીને માણેલ.