વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-2022માં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 18 જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.20મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે.
આ 18 જેટલા MoUને પરિણામે રાજ્યમાં 9852 કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.રૂ. 9852ના જે 18 MoU થયા છે તે પૈકી રૂ. 5733 કરોડના MoU વિદેશી રોકાણકારોની સહભાગીતાથી થયા છે. તદ્અનુસાર, સુરતના પલસાણા તાલુકાના ઝોલવા ગામે રૂ. 2533 કરોડના મૂડીરોકાણ સાથે ગાર્ડન સિલ્ક મિલ્સ પ્રા. લિમિટેડ દ્વારા સંપૂર્ણ દોરેલા યાર્ન, ડ્રો ટેક્સ્ચ્યુરાઇઝ્ડ યાર્ન, પોલિસ્ટર ચિપ્સ/પીઇટી ચિપ્સના ઉત્પાદન માટેના પ્લાન્ટથી 1450 લોકોને સૂચિત રોજગારીની તક મળશે.
ભરૂચ જિલ્લા દહેજ ખાતે એશિયન પેઇન્ટ્સ રૂ. 2100 કરોડના મૂડી રોકાણથી VMV ના ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ કરશે અને આ પ્લાન્ટ દ્વારા 350 લોકોને સૂચિત રોજગારી પ્રાપ્ત થશે. આ ઉ૫રાંત મેનકાઇન્ડ લાઇફસાયન્સ પ્રા. લિમિટેડ વડોદરા ખાતે રૂ. 1100 કરોડનું રોકાણ કરશે અને તેનાથી 1000 જેટલી સૂચિત રોજગારીનું સર્જન થશે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં થયેલા આ બહુવિધ MoU અંતર્ગત મેન્યૂફેકચરીંગ, કેમિકલ્સ એન્ડ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્મ ઇક્વીપમેન્ટ, હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ રોકાણકારો અને રાજ્ય સરકારે MoU કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા જેટલો ફાળો ધરાવતા ગુજરાતની આ યોજના રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ સહિત ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
જે 18 જેટલા MoU રાજ્ય સરકાર સાથે વિવિધ ઉદ્યોગ જૂથોએ-રોકાણકારોએ કર્યા છે તેના પરિણામે વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2, સાણંદમાં 2, ભરૂચના દહેજ, સાયખા અને પાલેજ માં કુલ મળીને 4, સુરતના પલસાણા અને સચિન માં કુલ-2, કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઉદ્યોગો આગામી 2025 સુધીમાં તેમનું ઉત્પાદન કાર્ય શરૂ કરશે. આ રોકાણોથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહિ, સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે.