ભાવનગરના ભૂતેશ્વર ગામના ઇસમે ખોટો પેઢી આંબો બનાવી ખોટું સોગંદનામુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છળકપટ કરી પોતાનું નામ ઠાકરદ્વારાના વહીવટદાર તરીકે દાખલ કરાવ્યું હતું અને આ પ્રક્રિયામાં તલાટી, સરપંચ સહિતના અન્ય ૧૪ વ્યક્તિઓએ પણ પેઢીનામુ ખોટું હોવાનું જાણવા છતાં તેમાં સહી કરી હતી.આ કેસમાં ઘોઘાની કોર્ટના આદેશના પગલે ઘોઘા પોલીસે ૧૫ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના તગડી ગામમાં રહેતા જગદીશકુમાર આનંદરામ ગોંડલીયાના માતાના પરદાદા કાળીદાસ જીવણદાસ દેસાણીને ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલએ ભૂતેશ્વર ગામમાં ખેડવા લાયક જમીન રેવન્યુ સર્વે નં. પ પૈકી એકની ૧ઃ વ આપી હતી. આ જમીનનો વહીવટ તેમના વારસદારો કરતા આવ્યા હતા. દરમિયાન સમય ૧૯૮૧ માં એપ્રિલ માસના સમયગાળા દરમિયાન વસંતદાસ તુલસીદાસ દુધરેજીયા રહે. પડવા તા. ઘોઘાવાળા એ દાન વાળી જમીનમાં પોતાનું નામ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરી ખેડાણ લાયક જમીન પચાવી પાડવાના ઇરાદે પોતાનું સાચુ નામ વસનદાસ તુલસીદાસ દુધરેજીયા હોવા છતાં ઇરાદાપૂર્વક પોતાનું નામ બદલી વસનદાસ રામકૃષ્ણ દેસાણી તરીકે ધારણ કરી તેની સાથે દુલાભાઈ લવજીભાઈ કંટારીયા, વાઘાભાઈ કાનાભાઈ તેમજ જેરામભાઈ કાળાભાઈ ઉપરાંત તે સમયના તલાટી કમ મંત્રી એ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારી કરી બોગસ અને બનાવટી પેઢી આંબો તૈયાર કરી રામકૃષ્ણ ગોવિંદરામ દેસાણીના પુત્ર હોવા અંગેનો આંબો બનાવી તમામે સાક્ષી તરીકે તેમાં સહી કરી આંબા પેઢી ના આધારે જમીનમાં રેવન્યુ રેકર્ડમાં ફેરફાર તેમજ વારસાઈ એન્ટ્રી કરાવી પોતાનું નામ દાખલ કરાવ્યું હતું.
આ અંગે જગદીશ આનંદરામ ગોંડલીયાએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા તજવીજ કરી હતી, પરંતુ ઘોઘા પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દેતા તેમણે ઘોઘાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તાત્કાલિક એફ.આઇ.આર નોંધવા માટે અરજી કરતા ઘોઘા કોટે આ પ્રકરણમાં સંડોવાયેલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો, તેમજ ૯૦ દિવસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
ઘોઘા કોર્ટના આદેશના પગલે ઘોઘા પોલીસે જગદીશ કુમાર આનંદરામ ગોંડલીયા રહે. તગડી વાળાની ફરિયાદ લઈ વસંતદાસ તુલસીદાસ દુધરેજીયા, દુલાભાઈ લવજીભાઈ કંટારીયા (પૂર્વ સરપંચ ભૂતેશ્વર) વાઘાભાઈ કાનાભાઈ, જેરામભાઈ કાળાભાઈ, વર્ષ ૧૯૮૧ ના ભૂતેશ્વરના તલાટી કમ મંત્રી તેમજ તે જ સમયના નાયબ મામલતદાર, ભાવ. ગ્રામ્ય, જદુરામ વસંતદાસ દુધરેજીયા, વર્ષ ૨૦૦૬ના તલાટી કમ મંત્રી, ભરતભાઈ એન.મકવાણા, કમુબેન વસંતદાસ દુધરેજીયા, ઘનશ્યામ વસંતદાસ દુધરેજીયા, ર્નિમળદાસ વસનદાસ દુધરેજીયા, ગીતાબેન વસંતદાસ દુધરેજીયા, રોહિત જદુરામ દુધરેજીયા તેમ જ વર્ષ ૨૦૧૪-૧૫ ના સમયગાળાના ઘોઘા પીજીવીસીએલના નાયબ ઈજનેર ઉપરાંત પોલીસ તપાસમાં જે ખૂલે તે શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૩૪, ૧૧૪ અને ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કર્યો હતો.