ભાવનગર, તા.૩
ભાવનગર-સોમનાથના નેશનલ હાઇવેના પેકેજ-૩મા દાતરડી બાયપાસ પરનો મુખ્ય પુલ તુટી પડવાની ઘટનામાં તેની ગુણવત્તાને લઇને સવાલો ઉઠ્યા છે. બીજી બાજુ નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરે આ ઘટના એક અકસ્માતથી વિશેષ કંઇ નહીં હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ એજન્સીનો પક્ષ લીધો છે. પ્રોજેક્ટ ડાયરેક્ટરે દિલ્હી ખાતે રિપોર્ટ કરીને પુલની કામગીરી દરમિયાન ગર્ડરો વિસ્થાપિત થવાના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનો ખુલાસો કર્યો છે.
રાજુલામાંથી પસાર થતાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવેનાં દાતરડી પાસે બ્રીજ તુટી પડવાની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં નેશનલ હાઈવેના કોન્ટ્રાકટરોની લોલમલોલ હોવાની આશંકા લોકોમાં દ્રઢ બની છે. જાે કે, હાઇવે ઓથોરીટીનું માનીએ તો હાઇવેનું કામ કરી રહેલી એજન્સીને ચોક્કસ કારણોસર સોફ્ટ ટાર્ગેટ કરાઇ રહી છે.
બોક્સ
ગુણવત્તાની કોઇ સમસ્યા નથી, એક્સેવેટર ઓપરેટરની ભૂલ અને બકેટની કામગીરીને કારણે ગર્ડરો વિસ્થાપિત થયા
આ ઘટના બાદ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર માનકરે સમગ્ર બનાવ અંગે કેન્દ્રને રિપોર્ટ કર્યો છે જેમાં જણાવ્યા મુજબ પેકેજ-૩ના દાતારડી બાયપાસમાં આ એક મુખ્ય પુલ છે. બાંધકામનું કાર્ય પ્રગતિ હેઠળ છે અને ગર્ડર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા પરંતુ ક્રોસ ગર્ડર દ્વારા સુરક્ષિત કરવાની પ્રક્રિયા ચાલુ હતી. એક્સેવેટરની મદદથી અન્ય સ્પાન ગર્ડરોને લોંચ કરવા માટે રેમ્પ તૈયાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ એક્સેવેટર ઓપરેટરની ભૂલ અને બકેટની કામગીરીને કારણે ગર્ડરો વિસ્થાપિત થઈ ગયા છે પરિણામે ૫ સ્પાન બ્રિજમાંથી ૪મા સ્પાનમાં ગર્ડરો તૂટી પડ્યા છે. બાયપાસ વિભાગમાં હોવાથી કોઈ દુર્ઘટના થઈ નથી અને કોંક્રિટ મિશ્રણની ગુણવત્તાની કોઈ સમસ્યા નથી. આ ઘટના ૨૭.૦૨.૨૦૨૩ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે બની હતી. વધુમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આ બેદરકારી બદલ ઈઁઝ્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે.