ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકેસમાં પોલીસ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે સમગ્ર હત્યા કેસ મામલે વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીનું મૃત્યું થયું છે. વિગતો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી.
પ્રયાગરાજના કૌંધિયારા વિસ્તારમાં સામે સામે અથામણ થઈ હતી આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી અને જેનું એન્કાઉન્ટર થયું હતું. ઉસ્માનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યું થયું હતું. ઉમેશ પાલ હત્યા કેસમાં આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ પોલીસે અતીક અહેમદના નજીકના સાથીદાર અરબાઝનું એન્કાઉન્ટર કર્યું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવતો હતો જેનો ઉપયોગ ઉમેશ પાલની હત્યામાં કરવામાં આવ્યો હતો. અરબાઝ અતીક અહેમદની કાર પણ ચલાવતો હતો.
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે ગનર્સને આરોપીઓએ ગોળી મારી હત્યા કરી હકી. ઉમેશ પાલ રાજૂપાલ હત્યાકેસમાં સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ આરોપીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના બોર્ડીગાર્ડોનું મોત થયું હતું. આરોપીઓએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ઉમેશ પાલની હત્યાનો આરોપ અતીક અહેમદ પર લગાવવામાં આવી રહ્યો છે. અતીક હાલ સાબરમતી જેલમાં બંધ છે. પોલીસને શંકા છે કે જેલમાં રહીને અતીકે હત્યાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. વિગતો મુજબ અતીક અહેમદ રાજુપાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો.
આટલું જ નહીં પોલીસનું કહેવું છે કે ઉમેશ પાલનો અતીક અહેમદ સાથે જમીનને લઈને પણ વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. પોલીસે અતીક અહેમદ તેમજ અતીકના ભાઈ, પત્ની શાઈસ્તા પરવીન, અતીક અહેમદના બે પુત્રો અને અન્યો સામે કેસ નોંધ્યો છે.






