ભાવનગર, તા.૧૧
સુરતના ત્રણ પરિવારના ૧૩ સભ્યો પીકઅપમાં ધુળેટીના પર્વ નિમિત્તે નારેશ્વર દર્શન કરવા ગયાં હતાં. જ્યાંથી પરત સૂરત જવા નિકળ્યાં હતા ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં જૂના સરદારબ્રીજ પરથી જતી વેળાં ત્યાં લગાવેલી ઓવરહેડ રેલીંગ સાથે પીકઅપમાં સવાર ચાર સભ્યો માથા ભટકાતાં બે સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકનું સારવાર વેળાં મોત થયું હતું. અન્ય એકને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવમાં બે સાઢુભાઇ અને એક પુત્રનું અવસાન થયું છે. જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ભંડારિયા ગામની કાકા-દાદાની બે બહેનો તેમના પતિ, પુત્ર સમેત પરિવારજનો સાથે ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ અંગે વધુમાં ઉપલબ્ધ વિગતો મુજબ સુરતના વરાછા રોડ પર આવેલી અંબિકા વિજય સોસાયટીમાં રહેતાં મુકેશ રાઘવ માંગુકિયા બોલેરો પીકઅપ જીપ લઈને ધુળેટી પર્વે નારેશ્વર ખાતે દર્શને નીકળ્યા હતા. જેમાં ત્રણેય પરિવારના ૧૩ સભ્યો બેસીને નારેશ્વર ગયાં હતાં. દેવદર્શન કર્યાં બાદ તેઓ સાંજે સુરત જવા માટે રવાના થયાં હતાં, પીકઅપમાં પરિવારના અન્ય સભ્યો બેઠાં હતાં. હરજી ધામેલિયા તેમજ તેમનો પુત્ર અક્ષિત (બંને રહે. ગજાનંદ સોસાયટી, યોગી ચોક, વરાછા, સુરત) તથા કમલેશ ભુપત ધામેલિયા અને તેમનો પુત્રી ક્રિશ ટેમ્પોમાં પાછળ ઉભા હતાં.
દરમિયાનમાં ઝાડેશ્વર ચોકડીથી જૂના સરદાર બ્રીજવાળા રસ્તે જવા માટે તેઓ નિકળ્યાં તે વેળાં ડ્રાઇવર મુકેશ માંગુકિયાએ ૭.૫૦ ફૂટ ઉંચી રેલિંગ નીચેથી પીકઅપ પસાર કરતા પાછળ ઉભેલાં ચારેયને માથામાં રેલિંગનો જોરદાર ફટકો વાગતાં ચારેયને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં રમેશ ધામેલિયા અને તેમના પુત્ર અક્ષિતનું સ્થળે નીપજ્યું હતું. જ્યારે ક્રિશ અને તેના પિતા કમલેશભાઇને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં વધુ એકનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં ભોગગ્રસ્તો ભાવનગર જિલ્લાના નથુગઢ અને વાળુકડ ગામના હોવાનું અને હાલ સુરત સ્થાઇ હોવાનું જાણવા મળ્યું છે.
પુત્રેજ પિકઅપ ચાલક પિતા વિરુદ્ધ ફરિયાદ આપવી પડી
અકસ્માતમાં માથામાં ઇજાને કારણે રમેશ ધામેલિયા અને તેમના પુત્ર અક્ષિતનું સ્થળ પર જ મોત થયું હતું. અન્ય પિતા-પુત્ર કમલેશ ધામેલિયા અને તેમના પુત્ર ક્રિશને ગંભીર હાલતમાં સુરત ખસેડાયાં હતાં. ઘટનામાં પુત્ર ઝીલે જ પીકઅપ ચાલક તેના પિતા વિરૂદ્ધ ફરિયાદ આપવી પડી હતી.



