બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામમાં ગુજરાતનું સૌથી મોટું 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. 7 વીઘા જમીનમાં બનેલા આ ભોજનાલય આંખો પહોળી કરી દે એવું છે.
હરિપ્રકાશદાસજીએ જણાવ્યું કે, છેલ્લા 100 વર્ષથી યાત્રાળુ માટે પ્રસાદની વ્યવસ્થા છે. ભોજનાલય તો મોટું જ હતું. પરંતુ ધીમે ધીમે આ જોઇએ છીએ કે એટલા બધા માણસો વધ્યા એટલે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રમાણે નાનું લાગતું હતું. લોકોને તાપમાં લાઇનમાં ઉભું રહેવું પડતું હતું એટલે સંતો અને આચાર્ય મહારાજે એમ બધાએ મળીને કીધું કે આપણે કંઈક વિચારો વ્યવસ્થા માટે. આ બહુ મોટું એટલે સાડા ત્રણ લાખ સ્ક્વેર ફૂટમાં આ ભોજનાલયનું બાંધકામ થયું છે તેમાં એક સાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે એવી બધી જ વ્યવસ્થાઓ છે.
ભોજનાલયમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ આવેલું છે. તેની ઉપર સ્ટાફ માટે 79 રૂમ છે. બાકી રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે. જેમાં તેલ, દાળ-ઘી જેવી સામગ્રી રાખવામાં આવે છે. તેમજ 5000 મણ ચોખા રહી શકે એવડો કોલ્ડ સ્ટોરેજ છે. જ્યારે ત્રીજા માળે બે ડાઇનિંગ હોલ છે. જેમાં 8000 લોકો જમી શકે એવડી વ્યવસ્થા છે. આ ઉપરાંત વિશેષ ભક્તો માટે ત્રણ ડાઇનિંગ હોલ છે. જેમાં એકમાં 500, બીજામાં 150 અને ત્રીજામાં 50 જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે.
સાળંગપુર ધામની અંદર ટેકનોલોજી એવી છે કે ઓઇલ સિસ્ટમથી રસોઈ બનશે. અહીં એવાં તપેલા એવાં છે જ્યાં 8 હજાર માણસોના જમવા માટે શાક બની જાય, 10 હજાર લોકોના જમવા માટે દાળ બની જાય અને જે કૂકર ટાઈપ તપેલા છે, તેની અંદર એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખિચડી માત્ર 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આનું કારણ એટલું જ છે કે આખું તપેલું એકસાથે ગરમ થાય છે. નીચે અગ્નિ લાગે અને ગરમ થાય એવું નહીં એટલે આમાં ક્યારેય દાઝવાનો પ્રશ્ન નહીં. ખિચડી દાઝે નહીં, શાક દાઝે નહીં, કોઈ દિવસ માણસ પણ દાઝે નહીં. તપેલાની અંદર ખાદ્યપદાર્થ 10 કલાક સુધી ગરમ રહેશે અને બહારથી જ્યારે આપણે તપેલાને અડીએ ત્યારે ઠંડુ લાગે તેવી બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ ઈંટો પર શ્રી રામ મંત્ર લખવામાં આવ્યાં છે
આખું ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો વાપરવામાં આવી છે અને તે તમામ ઈંટો પર શ્રી રામ મંત્ર લખવામાં આવ્યાં છે. આખા ભોજનાલયનું જે ફ્લોરિંગ છે તેની અંદર પ્રસાદીની માટી, સ્વામિનારાયણ ભગવાનના 6 ધામો બાકીના જે ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર આ બધાં તીર્થોની માટી, ગંગાજીની રેતી એ બધું જ મિક્સ કરી આ ફલોરિંગની અંદર પાથરવામાં આવ્યું છે અને ટાઇલ્સની અંદર પણ તે માટી નાંખવામાં આવી છે





