લખતર મામલતદાર કચેરીમાં પાણીની પળોજણ સામે આવી હતી. તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું હતું. ત્યારબાદ મામલતદાર કચેરીમાં પાણી પૂરું પાડી શકાયું હતું.
….લખતર સ્થાનિક તંત્રનો વહીવટ છેલ્લા થોડા સમયથી મોટાપાયે કથળ્યો છે. તેનો અહેસાસ શહેરવાસીઓ તો કરી રહ્યા છે. પરંતુ હવે મામલતદાર કચેરીને પણ સ્થાનિક પંચાયતનાં કથળેલા વહીવટનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર લખતર સ્થાનિક તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે. તે શહેરનાં અનેક વિસ્તારોમાં અનિયમિત અને અપૂરતું મળતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે હવે હદ તો ત્યારે થઇ કે લખતર મામલતદાર કચેરીમાં પણ પાણીની લાઈનમાં પૂરતું પાણી નથી આવતું. જેના કારણે લખતર મામલતદાર કચેરીનો સંપ ખાલી થઇ જતા કચેરી દ્વારા પાણીનું ટેન્કર મંગાવી તે ભરવાનો વારો આવ્યો હતો. જેથી હવે સ્થાનિક તંત્રનાં કથળેલા વહીવટથી લોકો ત્રાસી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. નોંધનીય છે કે સબ રજિસ્ટ્રાર વિભાગ લખતર મામલતદાર કચેરીમાં બેસે છે. અને હાલમાં ત્યાં ભીડ વધારે હોય છે તેવા સમયે જ પંચાયતનાં આવા વહીવટને કારણે તાત્કાલિક પાણીનું ટેન્કર બોલાવવું પડ્યું હતું. તેથી સ્થાનિક તંત્રનાં આવા કથળેલા વહીવટ ઉપર કોઈ ઉચ્ચ અધિકારી પગલાં તેવી માંગ ઉઠી છે.




