ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સૈનિકોને લઈને એક ટ્રક રાજૌરી સેક્ટરમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે હાઈવે પર આતંકીઓએ ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ આતંકી હુમલામાં 4 આતંકીઓ સામેલ હોવાની આશંકા છે.
2019માં પુલવામા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલા બાદ આટલી મોટી આતંકવાદી ઘટના બની નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં 5 આતંકી હુમલા કરવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર કર્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ તરીકે થઈ છે. NIA પુંછ હુમલાની પણ તપાસ કરશે. NIAની ટીમ શુક્રવારે સાંજ સુધીમાં સ્થળ પર પહોંચી જશે.
હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે લીધી છે. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ રાશન અને ઈંધણ લઈ જતી ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી.