બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વહીવટી તંત્રએ બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે. બદ્રીનાથ હાઈવે પર હેલંગમા ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.
હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ યાત્રાને રોકી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રસ્તામાં હજારો મુસાફરો ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્રએ માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ માર્ગના ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”
બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો વીડિયો પણ વાયરલ થયો છે. પહાડીના ભૂસ્ખલન કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો પથ્થર તૂટીને હાઈવે પર પડ્યો. ખડક પડવાનો વીડિયો ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં ખડક તૂટવાના ફૂટેજ રૂંવાડા ઊભા કરી નાખે તેવા છે. વીડિયોમાં લોકોની ચીસાચીસો સંભળાઈ રહી છે. પથ્થરો તૂટીને નીચે પડતા લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા જોવા મળી રહ્યા છે. તો મુસાફરોના અનેક વાહનો પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જોકે, આ વાહનો અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી.