હવે જેનરિક દવાઓ લખવાના નિયમોનું પાલન ન કરવા બદલ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને CGHS વેલનેસ સેન્ટરોને સોમવારે જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે હવે હોસ્પિટલ પરિસરમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આરોગ્ય મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની હોસ્પિટલો, આરોગ્ય યોજના કલ્યાણ કેન્દ્રો (CGHS) અને પૉલિક્લિનિક્સના ડૉક્ટરોને ઘણી વખત જેનરિક દવાઓ લખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં વિવિધ હોસ્પિટલના રેસિડેન્ટ અને નિષ્ણાત તબીબો દર્દીઓને બ્રાન્ડેડ દવાઓ લખી રહ્યા છે. આવું કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ડો. અતુલ ગોયલે જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ દવાઓની પ્રેક્ટિસ માત્ર દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ નથી નાખતી, પરંતુ તે નિયમોની વિરુદ્ધ પણ છે. દર્દીઓને વારંવાર બ્રાન્ડેડ દવાઓ માટે દુકાનોમાં જવું પડે છે. દિલ્હી AIIMS સહિત તમામ કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને દવાખાનાઓએ તાત્કાલિક બ્રાન્ડેડ દવાઓની પ્રેક્ટિસ બંધ કરવી પડશે. હાલમાં જન ઔષધિ અને અમૃત ફાર્મસીમાં ખૂબ જ સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. તે સુનિશ્ચિત કરવું પડશે કે સરકારી હોસ્પિટલોના પરિસરમાં તબીબી પ્રતિનિધિની મુલાકાત પ્રતિબંધિત છે, આદેશમાં કહેવામાં આવ્યું છે. નવી દવાના લોન્ચિંગ વિશેની કોઈપણ માહિતી ફક્ત ઈ-મેલ દ્વારા જ પ્રાપ્ત થવી જોઈએ.





