અમદાવાદ
ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 64.62 ટકા આવ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે. પાછલા વર્ષે 65.18% પરિણામ આવ્યું હતું. એટલે કે પાછલા વર્ષ કરતા આ વર્ષે પરિણામ સામાન્ય ઓછું આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવનારી શાળાઓ અને 30% કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે 0% પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યા પણ પાછલા વર્ષ કરતા વધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, સીએમ જણાવે છે કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવવે. આ સિવાય શિક્ષણમંત્રી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને જેઓ નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે.
કુલ 958 કેન્દ્ર (પેટા કેન્દ્રો સહિત) પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં કુલ નિયમિત 7,34,898 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમનું પરિણામ 64.62% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુભારિયા છે જ્યાંનું પરિણામ 95.92% આવ્યું છે. જ્યારે સૌથી નીચું પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વર્ષે પણ પાછલા વર્ષની જેમ સુરત જ છે જ્યાનું 76.45 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે જ્યાનું 40.75% પરિણામ આવ્યું છે. જ્યારે 0% પરિણામ મેળવનારી શાળાઓ વર્ષ 2022માં 121 હતી જે આ વર્ષે વધીને 157 થઈ ગઈ છે.




