દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે 7 મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને 7 જૂન, 2019 એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ના મંત્રને સાકાર કરી રહી છે. રાજ્ય સરકારનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાદ્ય એકમો અને તેમાં કામ કરતા લોકોની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ભેળસેળવાળા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ/ઉત્પાદકો સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. ઉપરાંત ફૂડ પોઈઝનિંગના જોખમ અંગે નાગરિકોને શિક્ષિત કરી તેને રોકવા માટે સક્ષમ બનાવવા જેવા જન આરોગ્યલક્ષી પગલાં ભરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના પ્રયત્નોને કારણે આજે ખેડૂતો, ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, રસોઈયાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રાહકોમાં ખાદ્ય સુરક્ષા વિશે જાગૃતિ વધી રહી છે. શેરીઓ, ચોપાટીઓમાં સ્થાનિક રાંધેલો ખોરાક સામાન્ય માણસ વધુ આરોગતો હોય છે ત્યારે આ ખોરાક સ્વચ્છ અને સલામત હોવો ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાંકરિયા, અમદાવાદમાં આવેલ ખાણીપીણી બજારના વેપારીઓને તાલીમ આપવામાં આવી. પરિણામે દેશનું સૌપ્રથમ FSSAI માન્ય “ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ” બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હાલમાં ગુજરાતમાં 8 ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ આવેલા છે જ્યાં નાગરિકો સ્વચ્છ અરોગ્યપ્રદ ખોરાક આરોગી રહ્યા છે અને સ્થાનિકો રોજગારી મેળવી રહ્યાં છે.
દૂધ, ખાદ્ય તેલ, મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો,મિનરલ તથા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, પાન મસાલા, ગુટખા, કન્ફેક્શનરી, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકો અને વેચાણ કર્તાઓ પર આખું વર્ષ ચાંપતી નજર રાખવામાં આવે છે. ઉપરાંત ઉનાળામાં ઠંડા પીણા, ફળોના રસ, મેંગો જ્યુસ (મેન્ગો મિલ્ક શેક), આઈસ્ક્રીમ, આઈસ કેન્ડી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યાં છે. ફૂડ સેફટીના ઓવરઓલ પરફોર્મન્સ ના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્લાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત છેલ્લા ચાર વર્ષથી અગ્રીમ સ્થાન મેળવતું આવ્યું છે.