સુરતના રત્નકલાકર વીનું મોરડીયાના સપરિવાર આપઘાત કેસમાં ખુલાસો થયો છે. આપઘાત કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરતો ન હતો. દીકરો આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.
સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં સામે આવ્યું છે કે, પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામધંધો કરવાનું કહેતા તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. પરિવાર હીરામાં મંદીને કારણે આર્થિકતંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે, મોટા પુત્ર પાર્થ અને અન્ય એક દીકરી ઘરે હોવાથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે.


