આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા. રથયાત્રા. એક એવો દિવસ જ્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવે છે. પુરીમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના જોડાવા માટે હજારો ભાવિક ભક્તો દેશ વિદેશથી આવે છે. અતૂટ શ્રદ્ધા આ રયાત્રા સાથે જોડાયેલી છે. રથયાત્રા વિશે અનેક વાયકાઓ પણ પ્રચલિત છે. રથયાત્રા દર વર્ષે એક મુસ્લિમની મઝાર પર આવીને રોકાય છે? આખરે શું છે તેનું કારણ?
કહેવાય છે ભગવાન તો ભાવનાના ભુખ્યા હોય છે. આ વાતને સાર્થક કરે છે ભગવાનના મુસ્લિમ ભક્ત સાલબેગની કથા. આ મુસ્લિમ ભગવાન જગન્નાથનો અનન્ય ભક્ત હતો. પરંતુ તેને મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશ ન મળ્યો. એ સમયે તેમણે કહ્યું હતું કે, જો મારી ભક્તિ સાચી છે, તો પ્રભુ મારી મઝાર પર જરૂર આવશે અને આ વાત સાચી સાબિત થઈ.
સાલબેગની મૃત્યુના કેટલાક મહિનાઓ બાદ જ જગન્નાથની રથયાત્રા નિકળી તો સાલબેગની મજાર પાસેથી રથ આગળ જ ન વધ્યા. ભક્તો રથને ખેંચી ખેંચીને થાકી ગયા પરંતુ રથ આગળ જ નહોતા વધતા. એવામાં તમામ લોકો પરેશાન થઈ ગયા કે હવે શું કરવું. એવામાં કોઈએ રાજાને સાલબેગની કથા વિશે જણાવ્યું. ત્યારે રાજાએ પુરોહિત સાથે મંત્રણા કરી સાલબેગના નામની જય બોલાવી. આ જયકારો થતાની સાથે જ રથ આગળ વધવા લાગ્યા. બસ ત્યારથી દર વર્ષે ભક્ત સાલબેગની મજાર પાસે રથને રોકવામાં આવે છે.
ભારતમાં એ સમયે મુગલોનું શાસન હતું. મુગલોની સેનામાં સાલબેગ નામનો વીર સિપાહી હતો. મુસ્લિમ પિતા અને હિંદુ માતાનું સંતાન સાલબેગજ જેટલો ખુદામાં માનતો એટલો જ ભગવાનમાં આસ્થા રાખતો. એકવાર એક યુદ્ધ દરમિયાન ઘાયલ થવાના કારણે સાલબેગને સેનામાંથી કાઢી મુકવામાં આવ્યો. સેનામાંથી કાઢી મુકવામાં આવતા સાલબેગ નિરાશ થઈ ગયા. દિકરાની નિરાશા જોઈને માતાએ કહ્યું કે, તું ભગવાન જગન્નાથનું શરણ લે. સાથે જ માતાએ સાલબેગને જગન્નાથની કથા સંભળાવી. કથા સાંભળી સાલબેગને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. પરંતુ તે મુસ્લિમ હોવાના કારણે મંદિરમાં તેને પ્રવેશ ન મળ્યો. સાલબેગ ફરી નિરાશ થઈ ગયા. ફરી માતાએ કહ્યું કે, તું નિરાશ ન થા. તુ બહાર રહીને પ્રભુની ભક્તિ કર. જો તારી ભક્તિ સાચી હશે તો જગન્નાથ ખુદ તારા દ્વારે આવશે.
કહેવાય છે કે, સાલબેગે માતાની આ વાત ગાંઠે બાંધી લીધી. રથયાત્રાના રસ્તામાં એક કુટીર બનાવી અને ત્યાં જ રહીને જય જગન્નાથનું ભજન કરવા લાગ્યા. કહેવાય છે કે, પ્રભુએ તેમને સપનામાં દર્શન આપ્યા અને એ દિવસે સાલબેગ આ દુનિયામાં ન રહ્યા. કહેવાય છે કે, જતા-જતા સાલબેગે કહ્યું કે, તમે મારી પાસે તો ન આવ્યા. ત્યારે જગન્નાથે કહ્યું કે, હવે મારો રથ તારા દ્વાર પર રોકાયા વિના આગળ નહીં વધે. આ સિલસિલો આજ સુધી ચાલ્યો આવે છે. રથયાત્રા નિકળે છે અને ભક્ત સાલબેગની મઝાર પર વિશ્રામ બાદ જ આગળ વધે છે.






