રામમંદિરનું લોકાર્પણ 15 જાન્યુઆરી 2024 પછી નકકી છે ત્યારે ભવ્ય રામમંદિરને જલ, થલ અને નભથી સુરક્ષિત કરવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે અને તેના માટે 32 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સુરક્ષા પ્લાનના નિર્માણની જવાબદારી યુપી નિર્માણ નિગમને આપવામાં આવી છે.
નવેમ્બર 2023 સુધીમાં મંદિરની સુરક્ષાને પુખ્તા કરવાની ડેડલાઈન નકકી કરાઈ છે. પ્લાનના પ્રથમ તબકકાનું કામ ટુંક સમયમાં શરૂ કરવાની તૈયારી છે. લોકાર્પણ પહેલા જ રામમંદિરની સુરક્ષા પુખ્તતા જોવા મળશે. મંદિરને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવા સહિત સરયુ નદી અને જમીનથી સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મંદિરની બહારની સુરક્ષાની જવાબદારી પ્રશાસનની છે. મંદિરના અંદરની વ્યવસ્થા ટ્રસ્ટ જોશે. પ્રશાસનના ઓફીસરો મંદિરની અંદર પણ સુરક્ષાની વ્યવસ્થાનો સમન્વય કરશે. મંદિરની બહાર અર્ધ સૈનિક દળ (સીઆરપીએફ) સહિત અન્ય કોર્સની તૈનાતી હશે.
હવાઈ સુરક્ષા માટે અત્યાધુનિક યંત્ર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મંદિરમાં ફાયર સેફટી, બોલાર્ટ, બુલેટ પ્રુફ જેકેટ, સર્ચ લાઈટ વગેરે લગાવાશે. સરયુ નદીમાં પણ સુરક્ષા પર ફોકસ છે. મંડલ આયુકત ગૌરવ દયાલનું કહેવું છે કે પહેલા તબકકામાં 32 કરોડ રૂપિયા સ્વીકૃત કરાયા છે.





