ભાવનગર, તા.૨૮
ભાવનગરમાં ઘોઘારોડ પર ૧૪ નાળા નજીક ગેરકાયદે ખડકાયેલ મફતનગર વસાહતને હટાવવા કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરતા જ મામલો વિવાદી બન્યો હતો. જબ્બર વિરોધ અને દેખાવો બાદ આ મામલો હાઇકોર્ટમાં પણ પહોંચતા કાનુની જંગ મંડાયો હતો. જા કે, તત્કાલીન સમયે હાઇકોર્ટે દબાણ હટાવની કાર્યવાહી સામે સ્ટે નહીં આપી અરજદારોને ફરીથી સાંભળી અને ૧૫ દિવસનો સમય આપવા કોર્પોરેશનને ફરમાન કર્યું હતું. તે મુજબ મહાપાલિકા દ્વારા જમીનના માલિકી હક્ક અંગે આધાર-પુરાવા રજૂ કરવા ૧૫ દિવસનો સમય અપાયો હતો. દરમિયાનમાં આજે વસાહતીઓને કમિશનરે રૂબરૂ સાંભળ્યા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ વસાહતીઓએ આપેલા આધાર-પુરાવામાં જમીનની માલિકી અંગે રજૂ થયેલા પુરાવા પર્યાપ્ત નથી તેમજ માલિકી પુરવાર થતી નથી. દરમિયાનમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય, ડે.કમિશનર બ્રહ્મભટ્ટ અને ટાઉન ડેવલોપમેન્ટ વઢવાણીયાએ આજે વસાહતીઓના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક માટે સમય ફાળવી તેઓની લાગણી અને માંગણી રૂબરૂ સાંભળી હતી. આ બેઠકમાં વસાહતીઓએ મુખ્ય ત્રણ માંગણી કરી હતી. દબાણો હટાવી આશરો નહીં છીનવવા વિનવણી કરી હતી. ઉપરાંત વૈકલ્પીક વ્યવસ્થા પુરી પાડવા તેમજ કોર્પોરેશન ઇચ્છે તો જંત્રીના દરથી આ જમીન ખરીદવા પણ પ્રતિનિધિ મંડળે પ્રપોઝલ આપી હતી. જા કે, આ વસાહતમાં ગરીબ અને વંચિતો રહેતા હોવાનો દાવો છે ત્યારે જંત્રી દર મુજબ મસમોટી રકમ ક્યાંથી ચુકવશે તે પણ પ્રશ્ન છે ! હાલ તો કમિશનરે પ્રતિનિધિ મંડળને સાંભળીને બે દિવસમાં તેનો નિર્ણય આપવા નક્કી થયું છે. ત્યારે હવે દબાણો પર બુલડોઝર ફેરવાશે કે કોઇ રાહત મળશે ? તે કોર્પોરેશનના નિર્ણય બાદ જ ખ્યાલ આવશે. આમ ૧૪ નાળા વસાહતીઓનો દડો હવે કોર્પોરેશનના પટમાં છે.



