જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરી આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓ પ્રમાણે શોપિયાં જિલ્લામાં ગુરૂવાર 13 જુલાઈની રાત્રે આતંકીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી છે. આ ઘટના દરમિયાન ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનમાં ઘેરાબંધી કરી છે.
સુરક્ષાદળ આતંકીઓને શોધી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત થનારા મજૂરોની ઓળખ અનમોલ, હિરાલાલ અને પિન્ટોના રૂપમાં થઈ છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે જણાવ્યું હતું કે સૈનિકોએ સોમવારે રાત્રે (10 જુલાઈ) નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી અને જ્યારે તેઓ સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા હતા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.