રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ ત્રાટક્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તો સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહી હતી. આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક પણ લહેરાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદમાં 5.5 ઇંચ, પલસાણામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તે જ રીતે વિસાવદરમાં સવા 3 ઈંચ, ગણદેવીમાં 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ, ધોરાજીમાં સવા 2 ઈંચ, સુત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉમરપાડામાં સવા 2 ઈંચ, વંથલીમાં 2 ઈંચ, સુરતમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ, પાટણ-વેરાવળમાં પોણા 2 ઈંચ, ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.





