અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે ત્યારે પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે જાણવા માટે પોલીસ તમામ પ્રકારના ટેસ્ટ કરશે.
પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા શાહપુર પોલીસ, રાણીપ પોલીસ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયેલો છે. ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું હતું કે આરોપીએ ડ્રીંક કર્યું હોય તેવું લાગતું નથી પણ પોલીસ સુત્રોએ કહ્યું કે આરોપીના પરિવારનો ગુનાઇત ઇતિહાસ જોતાં આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે આલ્કોહોલનું સેવન કર્યું હતું તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે પોલીસ તથ્ય પટેલના તમામ પ્રકારના ટેસ્ટ કરાવશે.
જે રીતે ભયંકર અકસ્માત થયો છે અને જેગુઆર 160થી વધુની સ્પીડમાં હતી તે જોતાં પોલીસને પુરેપુરી આશંકા છે કે આરોપી તથ્ય પટેલે નશો કર્યો હોવો જોઇએ અને તેના પિતાનો ગુનાઇતિ ભુતકાળ જોતાં પોલીસ આ કેસમાં કોઇ કાચુ કાપવા માગતી નથી.
ટોળાએ આરોપી તથ્ય પટેલને માર્યો ઢોર માર
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આરોપી તથ્ય પટેલનો ગત મોડી રાત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેને બ્રિજ પર અમુક લોકોએ ઘેરી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. જે સમયે આ અકસ્માત થયો તે પછી ત્યા હાજર ટોળાએ ભેગા મળી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલને બ્રિજ પર જ પકડી લીધો હતો અને ત્યા જ તેને મેથીપાક આપ્યો હતો.