ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ના ચેરમેનપદેથી ગત નવેમ્બરમાં નિવૃત આઈએએસ ઓફીસર અમરજીતસિંઘ નિવૃત થયા બાદ ખાલી રહેલી જગ્યા પર ગુજરાત કેડરના નિવૃત આઈએએસ ઓફીસર અનિતા કરવલની નિયુકિત કરવામાં આવી છે.
અનિતા કરવલ ભારત સરકાર હસ્તકનાં સ્કુલ એજયુકેશન મંત્રાલયનાં સચીવપદેથી નવેમ્બર 2022 માં વય નિવૃત થયા હતા. ગુજરાત અને ભારત સરકારનાં વિવિધ મહત્વનાં પદો પર કાર્યરત રહેલા અનિતા કરવલનાં વિશાળ અનુભવનો લાભ લેવા તેમને કોઈને કોઈ મહત્વના પદે નિયુકત કરાશે તે નકકી મનાતું હતું.
ગુજરાત રેરા રાજયના રીઅલ એસ્ટેટ બીઝનેસ માટે અત્યંત મહત્વની ઓથોરીટી મનાય છે. એકલા અમદાવાદ જેવા મહાનગરમાં 3239 મહત્વના પ્રોજેકટસ રજીસ્ટર થયા હતા. જેમાં કુલ આશરે 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ થયેલુ છે. તેમાંથી 1582 પૂર્ણ કરાયા છે.સમગ્ર ગુજરાતમાં 12,024 પ્રોજેકટસનાં રજીસ્ટ્રેશન સામે 6062 પ્રોજેકટસ પૂરા થયેલા છે.
ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ વિભાગ હેઠળ રેરા કાર્યરત છે અને આ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક જ છે અને તે વિભાગના અગ્ર સચીવપદે પણ અશ્વિનીકુમાર જેવા કાબેલ આઈએએસ ઓફીસર સેવા આપી રહ્યા છે. ત્યારે રેરાનાં ચેરમેનની ખાલી રહેલી જગ્યાએ રીયલ એસ્ટેટને મુશ્કેલ સ્થિતિમાં મુકયુ હતું.