મણિપુર મુદ્દા પર લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સાથે જ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. સરકારનું કહેવું છે કે અમે 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છીએ. બીજી તરફ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે નિયમ 267 હેઠળ ચર્ચા થવી જોઈએ.
દેશમાં બની રહેલા 2024 અને તે પુર્વેની પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે સંસદમાં પણ મણીપુરની દિલ્હી વટહુકમ મુદે સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક બનશે તથા ભાજપ સહિત તમામ પક્ષોએ તેમના સાંસદોને વર્તમાન સપ્તાહમાં તા.4 ઓગષ્ટ સુધી દિલ્હી નહી છોડવા તથા સંસદમાં સતત હાજરી આપવા વ્હીપ આપ્યો છે
તો શનિ-રવિ-મણીપુરની મુલાકાત લઈને આવેલા વિપક્ષોના નવા ગઠબંધન ‘ઈન્ડીયા’ના સાંસદો હવે તેમની ‘નજરે જોયેલી પરીસ્થિતિ’ મુદે ચર્ચા માટે આજે ફરી સભા મોકુફીની દરખાસ્ત રજૂ કરશે તો બીજી તરફ ગત સપ્તાહમાં લોકસભામાં વિપક્ષોએ જે અવિશ્ર્વાસ દરખાસ્ત રજુ કરી હતી અને અધ્યક્ષે તે સ્વીકારી છે તો તેના પર ચર્ચાનો સમય પણ નિશ્ચીત થશે.
સરકાર દિલ્હી વટહુકમનું સ્થાન લેતા ખરડો હવે લોકસભા અને બાદમાં રાજયસભામાં રજૂ કરવા જઈ રહી છે અને તેમાં ખાસ કરીને રાજયસભામાં તે પસાર કરાવવામાં કસોટી થશે પણ જે રીતે આંધ્રમાં વાયએસઆર કોંગ્રેસ પક્ષે સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે તે પછી સરકાર તે પસાર કરાવી લેશે. આજે જ ભાજપની સંસદીય દળની બેઠક બોલાવી છે અને તેમાં સંસદનો ફલોર વ્યુહ નિશ્ચીત થશે તો બીજી તરફ ‘ઈન્ડીયા’ ગઠબંધનની બેઠક પણ મળી છે અને તેમાં વિપક્ષની રણનીતિ નિશ્ચીત થશે.





