શુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. આ વખતે સમગ્ર સત્ર મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને તોફાની રહ્યું છે. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે PM નરેન્દ્ર મોદી પર અસંસદીય ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઇને આજનો દિવસ તોફાની બની શકે છે.
મણિપુર પર ચર્ચાને લઈને રાજ્યસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ છે. વિપક્ષ નિયમ 267 હેઠળ મણિપુર પર લાંબી ચર્ચાની માગણી પર અડગ છે, જ્યારે કેન્દ્ર નિયમ 176 હેઠળ ટૂંકી ચર્ચા કરવા સંમત છે. રાજ્યસભાના અધ્યક્ષે બંને પક્ષો તરફથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની કરેલી વિનંતી વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. ગુરુવારે લોકસભામાં ચર્ચા બાદ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ તૂટી ગયો હતો.એનડીએએ આરોપ લગાવ્યો હતો કે આ બિલ મણિપુર હિંસા અંગે વડાપ્રધાન મોદીને ઘેરવા માટે લાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદને સંબોધિત કર્યું. તેમણે મણિપુર જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. વડાપ્રધાન મોદીએ ગઈકાલે સંસદમાં મણિપુરને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હું ઉત્તર પૂર્વના દરેક રાજ્યના દરેક જિલ્લામાં ગયો છું. મેં ત્યાં ઘણું કામ કર્યું છે. મને ત્યાંની દરેક જગ્યા સાથે ભાવનાત્મક લગાવ છે અને મણિપુર મારા હૃદયનો ટુકડો છે. તેમણે કહ્યું કે જે રીતે શાંતિના પ્રયાસો થઈ રહ્યા છે, તે નક્કી છે કે બહુ જલ્દી શાંતિનો સૂરજ ત્યાં ઉગશે.
પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષના નેતાઓએ ઇન્ડિયા-ઇન્ડિયાના નારા લગાવતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી મણિપુર હિંસા પર નથી બોલી રહ્યા. વિપક્ષના વોકઆઉટ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની પાસે સાંભળવાની ક્ષમતા નથી. દુર્વ્યવહાર કરવો અને પછી ભાગી જવું એ તેમની જૂની આદત છે. કચરો ફેંકો અને પછી ભાગી જાઓ. હું વિપક્ષના નેતાઓને કહું છું કે તેમની પાસે સાંભળવાની ધીરજ નથી. જો આમ જ ચાલુ રહેશે તો તેમની સંખ્યા ઘટીને અડધી થઈ જશે.
સંસદના આ જ સત્રમાં હંગામા છતાં દિલ્હી સર્વિસ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ આ બિલ પાસ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ લોકતંત્રની હત્યા કરનાર બિલ છે. પીએમ મોદી દેશમાં સરમુખત્યારશાહી લાગુ કરવા માંગે છે. આ સત્રમાં ડેટા પ્રોટેક્શન બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરિકના ડેટા ભંગના કિસ્સામાં આ ઉલ્લંઘન કરનાર કંપની પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની વાત કરવામાં આવી છે. આ બિલના ડ્રાફ્ટને લઈને ખાનગી કંપનીઓમાં મૂંઝવણ હતી, પરંતુ બિલ પસાર થયા પછી કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી.