જો ચંદ્રયાન-3ના લેન્ડિંગમાં કોઈ સમસ્યા આવશે તો ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ એટલે કે ઈસરો સમયમાં પણ બદલાવ કરી શકે છે. ઈસરોના વૈજ્ઞાનિક નિલેશ એમ દેસાઈએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે જો પહેલાથી નક્કી કરેલી તારીખ 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગમાં કોઈ સમસ્યા હોય તો પ્રક્રિયાને 27 ઓગસ્ટ સુધી સ્થગિત પણ કરી શકાય છે.
ઇસરોના ડિરેક્ટર દેસાઈએ સોફ્ટ લેન્ડિંગ અંગે કહ્યું, ’23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે તેના બે કલાક પહેલા, લેન્ડર મોડ્યુલની હેલ્થ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે અમે નક્કી કરીશું કે તેનું લેન્ડ કરવું યોગ્ય છે કે નહીં. જો પરિસ્થિતિઓ અમારી તરફેણમાં નહીં હોય તો અમે મોડ્યુલને 27 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ કરીશું. કોઈ સમસ્યા ન આવી તો 23 ઓગસ્ટે મોડ્યુલને લેન્ડ કરી શકીશું.
ઈસરોના વડા એસ સોમનાથ સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. તે દરમિયાન તેમણે ચંદ્રયાન 3ની લેટેસ્ટ સ્થિતિ અને ઈસરોની તૈયારીઓ વિશે જણાવ્યું. ઈસરોના વડાએ ચંદ્રયાન-3ની હેલ્થ વિશે પણ માહિતી આપી અને કહ્યું કે તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને બુધવારે કોઈ સમસ્યા આવવાની શક્યતા ઓછી છે.



