કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. હનુમાન દાદા સ્વામીનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક વિવાદ વચ્ચે વડોદરાથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ દેવતાઓને એટલે કે સનાતન ધર્મના ચિન્હો અને ભગવાનોના અપમાન થતાં રહ્યા છે. ત્યારે છેલ્લે જૂનાગઢમાં એક મિટિંગ પણ થઇ હતી, ત્યારે એવુ નક્કી થયું હતું કે, હવે અમે તમારા માનદ ચિન્હો અને ભગવાનોનું અપમાન ન થાય તેની કાળજી રાખીશું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં 4 મહિના પહેલા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને તે મૂર્તિની તકતી પર હનુમાનજીને સહજાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામીના માતા-પિતાના દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રેતાયુગના જે હનુમાનજી છે. તે હનુમાનજી ભગવાન શંકરના પુત્ર છે. જે અગિયારમું રુદ્ર છે, તેમનું અપમાન થતું હોય ત્યારે સનાતન સંત સમિતિ અને બીજા સંતો એકત્ર થયા છે અને રામાનુજ વિરક્ત મંડળ પણ એકત્ર થયું છે અને હવે લડી લેવાના મૂડમાં છીએ.
હનુમાન દાદાના અપમાનને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.
કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. ’કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. ‘દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. આમ એક બાદ એક વાક પ્રહારો કરી મણિધરબાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધા હતા.
સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. જો આમ જ આવનારી પેઢી એમ જ માનશે કે હનુમાનજી મહારાજ ભગવાન રામના નહીં પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. તેમજ બોટાદ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સતુભાઈ ધાધલે પણ સમગ્ર બાબત દુ:ખદ હોવાનું તથા કોઠારી સ્વામીનો સંપર્ક કરતા વડતાલ ખાતે મિટિંગ યોજી યોગ્ય નિરાકરણ લવાશે તેમ જણાવ્યું હતુ.





