ગણતરીપૂર્વકના જોખમ લેવામાં ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી અને કદાચ એટલે જ શેરબજારમાં બોલબાલા છે. શેરબજારના રોકાણમાં ગુજરાતીઓની ભાગીદારી સતત વધતી રહી છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા ડબલ થઈને 31 લાખે પહોંચી છે. નેશનલ સ્ટોક એકસચેંજના 2020ના રિપોર્ટમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા 15 લાખ હતી તે 2023માં 31 લાખ પર પહોંચી છે. નિયમિત ટ્રેડીંગમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ હિસ્સો ગુજરાતનો છે.
ભારતમાં સરેરાશ 36 ટકા ઈન્વેસ્ટરો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત શેરબજારમાં ટ્રેડીંગ કરે છે તેની સરખામણીએ ગુજરાતમાં 45 ટકા ઈન્વેસ્ટરો ટ્રેડીંગ કરે છે. શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે શેરબજાર વિશે ગુજરાતના ઈન્વેસ્ટરોમાં વધુ જાગૃતિ છે. ઉપરાંત ઉંચા રિટર્ન, બચતની માનસિકતા અને ડીજીટલ ટ્રેડીંગ સરળ હોવાથી વેપાર કરવાનો ટ્રેન્ડ વધતો રહ્યો છે. કોરોનાની શરૂઆત વખતે માર્કેટમાં અભૂતપૂર્વ પ્રચંડ કડાકા સર્જાયા હતા છતાં તેમાંથી માર્કેટે બહાર આવીને નવી ઉંચાઈ હાંસલ કરી હતી. મોટી કમાણીથી આકર્ષાઈને યુવાવર્ગ ઝંપલાવી રહ્યા હતા. યુવાવર્ગના ડીમેટ તથા ટ્રેડીંગ ખાતામાં મોટો વધારો છે.
શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રીટેઈલ ઈન્વેસ્ટરો પણ ટ્રેડીંગની સમજ કેળવતા થઈ ગયા છે. ડીજીટલ ઓનલાઈન વ્યવહારોની સુવિધાથી આકર્ષણ વધુ વધ્યુ છે. આ કારણથી એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા વધી છે. નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે પાન ખાતા ધરાવતા 7.25 કરોડ લોકોમાંથી 2.62 કરોડ અર્થાત 36 ટકા શેરબજારમાં રોકાણ-ટ્રેડીંગ કરે છે. ગુજરાતમાં આ ટકાવારી વધુ ઉંચી છે. ગુજરાતમાં 69 લાખ રજીસ્ટર્ડ પાનધારકોમાંથી 31 લાખ અર્થાત 45 ટકા શેરબજારમાં વ્યવહાર કરે છે.





