રાજ્યમાં સોમવારે 126 તાલુકામાં 2થી 12 ઇંચ સુધી વરસાદ થયો હતો. જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા કાંઠા વિસ્તારના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર, ભરૂચ સહિતનાં શહેરોમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં 5થી 6 ફૂટ પાણી ભરાયા હતા.
દરમિયાન ગુજરાતના 80 ડેમ 90 ટકાથી વધુ ભરાઇ જતા સ્થિતિની ચકાસણી કરવા માટે ઉચ્ચ કક્ષાની એક બેઠક પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 12,644 લોકોનું સ્થળાંતર અને 822 નાગરિકોનું રેસ્ક્યુ કરાયાનું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્ય સરકારની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.