કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ઓટાવામાં મીડિયા સાથે વાતચીતમાં ટ્રુડોએ કહ્યું- તેમની પાસે આ વાતના પુરતા પુરાવા છે કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ છે. ટ્રુડોએ જણાવ્યું કે તેમણે કેટલાક અઠવાડિયા પહેલા જ ભારત સરકારના પુરાવા શેર કર્યા છે. અમને આશા છે કે તે અમારી સાથે જોડાશે જેથી આ ગંભીર કેસના મૂળ સુધી પહોંચી શકાય. જોકે, તેમણે એમ નથી જણાવ્યું કે પુરાવા તરીકે ભારતને શું મોકલ્યું છે.
કેનેડિયન મીડિયા CBCના રિપોર્ટ અનુસાર, કેનેડા પાસે ભારતીય એજન્ટનું કૉલ રેકોર્ડિંગ છે. ભારતીય ડિપ્લોમેટ્સ કોને મળ્યા, કોની સાથે વાત કરી,આ બધાને ટ્રેક કરવામાં આવ્યા હતા. CBCએ કેનેડિયન અધિકારીના હવાલાથી આ વાતનો દાવો પણ કર્યો છે જ્યારે ભારતીય અધિકારીઓ પર બંધ દરવાજા પાછળ દબાણ નાખવામાં આવ્યું તો તેમણે નિજ્જરની હત્યામાં ભારત સરકારના દખલના પુરાવા હોવાની વાતનો ઇનકાર કર્યો નહતો.
મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે નિજ્જરની હત્યાની તપાસમાં સહયોગ માંગવા માટે કેનેડાના અધિકારી કેટલીક વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. કેનેડાના NSA જોડી થૉમસ ઓગસ્ટમાં 4 દિવસના પ્રવાસે ભારતમાં હતા. આ સિવાય તે આ વર્ષે પણ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે 5 દિવસ માટે ભારત આવ્યા હતા.
આ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા હત્યા પર જવાબદારી ઇચ્છે છે. બ્લિંકને એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું, કેનેડાના વડાપ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી અમે ચિંતિંત છીએ.અમે પોતાના કેનેડિયન સહયોગીઓ સાથે આ મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે ભારત પણ આ તપાસ પર કેનેડાનો સાથ આપે.