ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના અંગત સચિવ વી.કે. પાંડિયને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ઓડિશા કેડરના 2000 બેચના IAS અધિકારી પાંડિયન છેલ્લા 12 વર્ષથી નવીન પટનાયકના સેક્રેટરી હતા. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. આ ચૂંટણીમાં તેમને મહત્વની ભૂમિકા મળે તેવી અટકળો ચાલી રહી છે. તેઓને નવીન પટનાયકના રાજકીય વારસ તરીકે પણ જોવામાં આવે છે.