ગુજરાતી સાહિત્ય જગતમાં મૂઠી ઊંચેરું નામ અને ગુજરાતી બાળ સાહિત્ય સર્જનમાં જેમનો સિંહ ફાળો રહ્યો તેવા હરીશ નાયકનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સાહિત્ય જગતમાં શોક છવાયો છે.
1952થી શરુઆત કરીને અત્યાર સુધીમાં હરીશભાઈએ 2000થી પણ વધારે વાર્તાઓ લખી છે. તેમનાં જાણીતાં પુસ્તકોમાં કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ, અવકાશી ઉલ્કાપાત, મહાસાગરની મહારાણી, લોકલાડીલી લોક-કથાઓ, પાંદડે-પાંદડે વાર્તા, ઝમક-ચમક કથાઓ, ચોવીસ ગુરૂનો ચેલો, ગુલીવર્સ ટ્રાવેલ્સ, નારદ વાણીનો સમાવેશ થાય છે. તેમના પુસ્તક કચ્ચુ-બચ્ચુનો સાત ભાષાઓમાં અનુવાદ થયેલ છે. આ ઉપરાંત તેમણે રચેલી હર્ક્યુલીસ લેખમાળા પણ ઘણી પ્રખ્યાત થઈ હતી. તેમણે લિખિત યુધ્ધકથા લડાખના લડવૈયા પણ ખુબજ લોકપ્રિય રહ્યુ હતું. બાળ સાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતભરમાં બાળવાર્તાઓ કરવા જતા હતાં.