કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં હમાસના નેતા ખાલિદ મશેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. રેલીમાં હમાસ નેતાના સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશેલે શુક્રવારે મલપ્પુરમમાં સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.સોલિડેરિટી યુથ મૂવમેન્ટ એ ‘જમાત-એ-ઈસ્લામી’ની યુવા પાંખ છે જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે “બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ ઝિઓનિઝમને જડમૂળથી ઉખેડી નાખો”.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને હમાસ નેતાની વર્ચ્યુઅલ હાજરી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું, ‘કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલિદ મશેલનું વર્ચ્યુઅલ સંબોધન ચિંતાજનક છે. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન આ સમયે ક્યાં છે? ‘સેવ પેલેસ્ટાઈન’ની આડમાં, તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને ‘યોદ્ધાઓ’ તરીકે સન્માન આપી રહ્યા છે… આ અસ્વીકાર્ય છે!’
કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના મુખ્ય સહયોગી IUMLએ પણ ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત હત્યાની નિંદા કરતા ગુરુવારે ઉત્તર કોઝિકોડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હજારો IUML સમર્થકોએ પેલેસ્ટાઇન સોલિડેરિટી હ્યુમન રાઇટ્સ રેલીમાં ભાગ લીધો હતો, જેનું ઉદ્ઘાટન IUML નેતા પનાક્કડ સૈયદ સાદિક અલી શિહાબ થંગલ દ્વારા કરવામાં આવ્યું હતું.