ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી 9500થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલ હજુ પણ ગાઝા પર હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝાના એક શરણાર્થી શિબિર પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 50 લોકોના મોત થયા છે જ્યારે 150 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલના આ હુમલામાં બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા છે. જોકે, આ હુમલાને લઇને ઇઝરાયેલ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. એક રિપોર્ટ અનુસાર, ગાઝાના આંતરિક મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી હવાઇ હુમલામાં ઉત્તરી ગાઝાના જબાલિયા રિફ્યૂઝી કેમ્પના એક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લૉકોને નિશાન બનાવવામાં આવ્યા છે જેમાં હજારો લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયન હોસ્પિટલના ડિરેક્ટરે પણ આ હુમલામાં 50 લોકોના માર્યા ગયાની વાત કહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે જબાલિયા શરણાર્થી કેમ્પ ગાઝાનો સૌથી મોટો રેફ્યૂઝી કેમ્પ છે.જે ગાઝાના ઉત્તરમાં સ્થિત છે. આ શિબિર અહીંની આઠ શરણાર્થી શિબિરોમાં સૌથી મોટો છે. સંયુક્ત રાષ્ટ્રે આ વર્ષે જુલાઇમાં આ શિબિરમાં 116000થી વધુ શરણાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ શિબિરમાં 1948ના યુદ્ધ પછીથી શરણાર્થી રહે છે. ગીચ વસ્તી ધરાવતો આ વિસ્તાર ઘણો નાનો છે. જે માત્ર 1.4 વર્ગ કિમીના દાયરામાં ફેલાયેલો છે.
ગાઝાના શરણાર્થી શિબિર પર કરવામાં આવેલા હુમલાની ઇજિપ્ત અને જોર્ડને ટિકા કરી છે અને આ હવાઇ હુમલાને અમાનવીય ગણાવ્યો છે. ઇજિપ્તે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ સાથે જ ઇજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયેલના હુમલા રોકવા અને ગાઝામાં રહેતા લોકોને માનવીય મદદ આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. બીજી તરફ જોર્ડને પણ ઇઝરાયેલના હુમલાની ટિકા કરી છે. આ સાથે જ સાઉદી અરબે આ હુમલા પર કહ્યું કે ઇઝરાયેલ વારંવાર રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે તે ખોટુ છે.